રાજકોટ જિલ્લાના રફાળા ગામના મૂળ વતની હંસરાજભાઈ સોજીત્રા રાજકોટની એક ફેક્ટરીમાં ભઠ્ઠીકામમાં મજૂરી કરતા હતા. હંસરાજભાઈ અને નંદુબેનને સંતાનમાં 2 દીકરીઓ અને એક દીકરો હતો. 5 સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સંતાનોની સુખાકારી માટે હંસરાજભાઈ રાત-દિવસ જોયા વગર કામ કરતા હતા.


હંસરાજભાઈ પોતે અભણ હતા પણ એની સમજણ ભણેલા ગણેલાને પણ ભોંઠા પાડે એવી હતી. ઘરમાં માત્ર પુરુષ જ નિર્ણય લે એવું નહીં પણ સ્ત્રીઓને પણ નિર્ણય લેવાની સ્વતંત્રતા અને હક્ક મળવા જોઈએ એવું દ્રઢપણે માનતા હંસરાજભાઈએ દીકરાની સાથે બંને દીકરીઓને પણ એમની કારકિર્દી માટે પૂરતી સ્વતંત્રતા આપી હતી.


ઘણા લોકોએ કહેલું કે આવી મોંઘવારીમાં દીકરીઓને બહુ ન ભણાવાય પણ હંસરાજભાઈએ કોઈની વાતો કાને ધરવાને બદલે દીકરીઓની દિલની ઈચ્છા પૂરી કરવા માટે જાત ઘસી નાંખી. સંતાનો સારામાં સારી રીતે ભણી શકે એટલે તેઓ કારખાનામાં કામ કરવા માટે સાઇકલ લઈને જતા જેથી બચત થાય અને એ રકમ બાળકોના અભ્યાસ માટે વપરાય. પોતાના નાના ઘરમાં પ્લાસ્ટર કરવાનો ખર્ચ ન કરીને પ્લાસ્ટર વગરના સાદા મકાનમાં જ રહ્યા કારણકે તેઓ એવું માનતા કે મકાનને શણગારવામાં ખર્ચ કરવાને બદલે જીવનને શણગારવા માટે શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઈએ. મકાન ભલે પ્લાસ્ટર વગરનું હોય પણ જીવન શિક્ષણ વગરનું ન હોવું જોઈએ.


હંસરાજભાઈએ સંતાનોને ઉડવા માટે ખુલ્લું આકાશ આપ્યું તેના પરિણામ રૂપે મોટી દીકરી નિરલે સરકારી આયુર્વેદ કોલેજમાંથી એમ.ડી. સુધીનો અભ્યાસ કરીને પીએચડી પણ કર્યું અને અત્યારે ત્રિપુરામાં અગરતાલા ખાતે ભારત સરકારના અધિકારી તરીકે એમની સેવાઓ આપે છે. નાની દીકરીએ પઅન સરકારી કોલેજમાંથી જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એન્જીનીયરીંગ કર્યું અને બેંગ્લોર બેઇઝ કંપનીમાં ઉચ્ચ હોદા પર આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરે છે જ્યારે સૌથી નાના દીકરા કેયુરે એની પસંદગીના મેનેજમેન્ટ સબ્જેક્ટમાં અભ્યાસ કર્યો અને પ્રતિષ્ઠિત કંપનીમાં સારા પગારથી નોકરી પર લાગી ગયો.


હંસરાજભાઈએ એક જ કારખાનામાં 32 વર્ષ મજૂરીકામ કર્યું. પોતાના જેવું જીવન સંતાનોને ન જીવવું પડે એટલે એક અભણ પિતાએ અનેક અભાવો વચ્ચે જીવન જીવીને સંતાનોને ભણાવ્યા. સંતાનોએ પણ પિતૃઋણ અદા કરવા જુના ખખડધજ મકાનની જગ્યાએ ભૌતિક સુવિધાઓથી સભર એક આધુનિક મકાન તૈયાર કરીને પિતાને ભેટમાં આપ્યુ.


ભગવાનને પણ કંઈક જુદુ જ મંજૂર હશે. જે પિતાએ સંતાનોના સુખી જીવન માટે પોતાની જાતને ઓગળી દીધી એ સંતાનોના જીવનમાં સુખનો સુરજ ઉગતાની સાથે હંસરાજભાઈનો જીવનદીપ ઓલવાઈ ગયો. થોડા સમય પહેલા જ કોરોનાના લીધે હંસરાજભાઈનું અવસાન થયું.


એક અભણ માણસની સમજણ અને સમર્પણ સંતાનોના જીવન પુષ્પને કેવા ખીલવે છે એનું હંસરાજભાઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.


~ શૈલેષ સગપરિયા